તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
નોડલ અધિકારીઓની નિમણૂંક
તા.૧૬ મીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સમગ્ર ભારતમાં કોરોના વિરોધી રસીનું કરાશે વર્ચ્યુઅલ લોકાર્પણ.
રાજપીપલા,તા.13
દેશના પ્રધાનમંત્રીના હસ્તે તા.૧૬ મી જાન્યુઆરી,૨૦૨૧ ને શનિવારના રોજ સમગ્ર ભારતમાં કોરોના વિરોધી વેકસીનેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ થનાર છે અને તે અંતર્ગત સમગ્ર દેશમાં વેકસીનેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે. નર્મદા જિલ્લામાં હાલમાં કોવીડ-૧૯ વેકસીનેશન ડેટાબેઝ એકત્ર કરી કોવીન સોફટવેરમાં એન્ટ્રી કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહેલ છે. સંભવિત કોવીડ-૧૯ વેકસીન ઉપલબ્ધ થવાથી તેના સફળ અમલીકરણની આગોતરી તૈયારી સંદર્ભે જિલ્લાનાં દરેક સ્ટાફને તાલીમબધ્ધ કરાયાં છે. કોવીડ-૧૯ વેકસીનેશન અંતર્ગત ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ અને એ.ઈ.એફ.આઈ.કમીટીની બેઠકોની કામગીરી પણ પૂર્ણ કરાઇ છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે કોવીડને અટકાવવા માટે વેકસીન જ એક ઉપાય છે. આ સમસ્યાના અંત સ્વરૂપે તા.૧૬/૦૧/ર૦ર૧ ના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે સમગ્ર ભારતમાં કોરોના વિરોધી રસીનું વર્ચ્યુઅલ લોકાર્પણ સંદર્ભે નર્મદા જિલ્લા ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ માટે ત્રણ સેશનસાઈડ નકકી કરવામાં આવી છે, જેમાં કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ રાજપીપલા, તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રાજપીપલાના અર્બન હેલ્થ સેન્ટર સમાવેશ કરાયેલ છે. પ્રથમ તબકકામાં હેલ્થ કેર વર્કસને રસી આપવામાં આવશે.
વર્ચ્યુઅલ લોકાર્પણ અંતર્ગત ગઇકાલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલના અધ્યક્ષપદે સેશન સાઈડના અધિક્ષક જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓ, એન.આઈ.સી શાખા, બી.એસ.એન.એલ સાથે જરૂરી આઈ.ટી સેટઅપ બાબતે ચર્ચા કરેલ છે.અને જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાશે. આ બેઠકમાં દરેક સેશન સાઈડ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક સેશન સાઈડ માટે એક અલગ નોડલ ઓફિસરની નિમણૂંક પણ કરવામાં આવી છે, જે સમગ્ર તૈયારીઓનું સુપરવિઝન-મોનીટરીંગ કરશે.
જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ઉકત સમગ્ર તૈયારીઓનું ઝીણવટપૂર્વક સંચાલન કરવામાં આવી રહેલ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ જણાવ્યુ હતું.
તસવીર : જયોતિ જગતાપરાજપીપળા
