*અમદાવાદમાં આરએલડીનું નિકોલ યુવા સંમેલન યોજાયું*
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ નરોડા દહેગામ પાસે NDA સંલગ્ન પાર્ટી રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ યુવા કાર્યકર્તા સંમેલન યોજાયું.

અમદાવાદ નરોડા ખાતે NDA સાથે સંગઠિત રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ યુવા કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પ્રકાશસિંહ રાજપૂત પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વ. ચૌધરી ચરણસિહજીને પુષ્પ અર્પણ સાથે દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષ પટેલની અમદાવાદ શહેર યુવા પ્રમુખ અને કિશન પટેલની નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે વરણી કરી તેમને નિયુક્તિ પત્ર સાથે તુલસીનો છોડ આપી નિયુક્તિ આપવામાં આવી હતી. ઉપરાંત સ્વ. ચૌધરી ચરણસિંહજીની નીતિઓ સાથે યુવાઓ, મહિલાઓ માટે સશક્તિકરણ ઉપરાંત ખેડૂતો માટેના પ્રશ્નો માટે માટે ઉભા રહેવાનો સંકલ્પ લેવાયો હતો. આ ઉપરાંત નવા જોડાયેલ હોદ્દેદારોને નિયુક્તિ પત્ર એનાયત કરાયા હતા. આવનાર સમયમાં પાર્ટી દ્વારા અનેક લોક ઉપયોગી કામો હાથ ધરવામાં આવશે અને તે માટે મોટી સંખ્યામાં યુવાઓ મહિલાઓ આગળ આવે અને જોડાય અને પાર્ટીને વધુ મજબૂત બનાવે તેવી અપીલ પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જેમને પણ તુલસીનો છોડ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાતના પદાધિકારીઓ તેમજ અમદાવાદ અધ્યક્ષ જગદીશભાઈ પ્રજાપતિ, ગાંધીનગર અધ્યક્ષ તરુણસિંહ વાઘેલા, વિપુલભાઈ પંચાલ, મહામંત્રી અમદાવાદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો તેંમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
