નર્મદામાં બાંધકામ શ્રમયોગી ના બાળકોને ઉચ્ચ શિક્ષણ સહાય યોજના નો લાભ મળશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી શિક્ષણ સહાયનો લાભ લેવા અનુરોધ.
રાજપીપળા, તા. 17
રાજ્યમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. બાધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રુચિ વધે તથા શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ઉચ્ચ પદ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે, તે હેતુથી નોંધાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને શિક્ષણ સહાય પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આગામી સને 2020-21 ના શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બે બાળકો સુધી તેમજ 30 વર્ષની વયમર્યાદા ધરાવતી શ્રમયોગી લાભાર્થીની પત્નિને શિક્ષણ સહાય આપવામાં આવનાર છે. આ શૈક્ષણિક સહાય મેળવવા પ્રવેશ મેળવ્યા તારીખ/શૈક્ષણિક શત્ર શરૂ થયાથી 3 માસ (90 દિવસ) માં નિયત ધારાધોરણ પ્રમાણે નિયત સમય મર્યાદામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જીલ્લા કચેરીને નિયત નમુના ફોર્મમાં અરજી કરવાની રહેશે.
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં જે શ્રમિકોના બાળકો ધોરણ 1 થી 4 અભ્યાસ કરે છે તેમને રૂ.500/- અભ્યાસ સહાય તથા ધોરણ 5 થી 9 માં અભ્યાસ કરતા બાળકોને રૂ. 1000/- ની સહાય, ધોરણ 10 થી 12 માં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને રૂ. 2000/- સહાય તથા રૂ. 500 હોસ્ટેલ સહાય, આઈ.ટી.આઈ. માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જોડાયેલા બાળકોને તેમજ પી.ટી.સી., સેનેટરી ઈન્સ્પેકટર કોર્ષમાં અભ્યાસ કરતા બાળકોને રૂ.5000 /- અભ્યાસ સહાય, ડિપ્લોમા એન્જીનિયરમાં, નર્સિગ,પી.જી.ડી.સી. એ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.5000/- અભ્યાસ સહાય, રૂ.2500/- હોસ્ટેલ સહાય તેમજ રૂ.3000/- પુસ્તક સહાય આપવામાં આવે છે. જ્યારે બી.બી.એ., બી.કોમ, બી.એસ.સી, એલ.એલ.બી., બી.સી.એ., બી.એડ., જેવી વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.10000/- શિક્ષણ સહાય, રૂ.5000/- હોસ્ટેલ સહાય આપવામાં આવશે. એમ.એ., એમ.કોમ., એમ.એડ., એમ.એસ.સી., એમ.એસ.ડબ્લ્યુ., એલ.એલ.એમ., એમ.સી.એ., એમ.બી.એ., માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.15000/- અભ્યાસ સહાય અને રૂ.5000/-હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. ફીઝીયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, ફાર્મસી, બી.ફાર્મ, અને બી.એસ.સી. નર્સિંગ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.15000/- અભ્યાસ સહાય, રૂ.5000/-હોસ્ટેલ અને રૂ.5000/-પુસ્તક સહાય આપવામાં આવે છે. એમ.બી.બી.એસ., બી.ડી.એસ., એમ.ડી.એમ.એસ., મેડિકલમાં અભ્યાસ કરતા શ્રમિક કુટુંબના બાળકોને રૂ.25000/- અભ્યાસ સહાય, રૂ.10000/-પુસ્તક સહાય તેમજ રૂ. 5000/- હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. જયારે એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતા રૂ.25000/- અભ્યાસ સહાય, રૂ.5000/- હોસ્ટેલ સહાય તથા રૂ.5000/- પુસ્તક સહાય આપવામાં આવશે.
જયારે પી.એચ.ડી. અને એમ.ફીલના અભ્યાસના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યેથી એક વખત ઉચ્ચક રૂ.25000/-ની સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ સહાય માટે જો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય તો તેવા કિસ્સામાં જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સહાય મળવાપાત્ર રહેશે.તથા પુસ્તક સહાય માત્ર અભ્યાસના પ્રથમ વર્ષે જ મળવાપાત્ર છે. આ શિક્ષણ સહાય યોજનાનો નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓના બાળકોએ આગામી વર્ષ 2020-21 માં પ્રવેશ મેળવ્યા તારીખ/સત્ર શરુ થયા તારીખથી 3 માસ (90 દિવસ) સુધીમાં જીલ્લા કચેરીઓમાં અરજી કરવાની રહેશે. નર્મદા જિલ્લામાં નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓના બાળકોને ઉકત શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવા માટે નિરીક્ષકશ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, (સી /ઓ સરકારી શ્રમ અધિકારીની કચેરી ઉદ્યોગ, બીજો માળ, નંબર 204, જિલ્લા સેવા સદન, રાજપીપલા નર્મદા) નો સંપર્ક કરવા જણાવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા