સુસાઇડ ઇઝ નોટ ધ સોલ્યુશન. – ભાવિની નાયક.

આજના દિવસની દુઃખદ ઘટના ખ્યાતનામ અભિનેતા છીંછોરે મૂવીમાં જીવનનો પાઠ શીખવનારા સુશાંત સિંગ રાજપૂતની આત્મહત્યા.
મેં કાલે જ ક્યાંક વાંચ્યું અમદાવાદમાં રહેતા એક બસ કન્ડક્ટર જેમની નોકરી છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે.અત્યારે તેમણે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે કડિયા કામ શરૂ કર્યુ છે. અને આ કામ દ્વારા ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરે છે. આપણે આજના જનરેશનના લોકો આપણી જિંદગીમાં ફિલ્મોને અને ફિલ્મકલાકારોને બહુ મહત્વ આપીએ છીએ.એ જે બ્રાન્ડની એડ કરે તે બ્રાન્ડ વગર વિચારે આપણે વાપરતા થઈ જઈએ છીએ.વાળની હેરસ્ટાઇલ પણ એમના જેવી, કપડાં પણ એમના જેવા, પણ શું કલાકાર પોતે ફિલ્મમાં જેવો હોય છે એવોજ રીઅલ લાઈફમાં એ બની શકે છે? આજે આપણે આ સવાલનો જવાબ સારી રીતે જાણીએ છીએ. છીંછોરે જોઈને કેટલાય લોકોને જિંદગીની કિંમત સમજાઈ ગઈ હતી,કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની જિંદગીમાં નિષ્ફળતા પચાવવાનું શીખી લીધું હતું. જિંદગીના આટલા સરસ બોધપાઠ આપણને શીખવનાર પોતે એ શીખી ન શક્યો. તમને એમ થશે કે આ લેખની શરૂઆત સુશાંત સિંગ રાજપૂતની આત્મહત્યાથી થઈ.વચ્ચે એક બસ કન્ડક્ટરની વાત આવી અને વળી પાછી સુશાંત સિંગ રાજપૂતની વાત. હા આજે મને એવું લાગે છે કે આ ફિલ્મકલાકારોએ આપણા જેવા સામાન્ય લોકો પાસેથી ઘણુંબધું શીખવાનું છે.એ બસ કન્ડક્ટર ગમે તેવી પરિસ્થિતિમાં લડીને પોતાના કુટુંબનો સહારો બન્યો.ચાહત તો એ પણ આત્મહત્યા કરી શક્યો હોત.અતિ વૈભવી જીવન જીવતા આ લોકોના જીવનમાં થોડી મુશ્કેલી તેમને ડિપ્રેશનમાં મુકી દે છે. જ્યારે આપણાં ત્યાં રોડ પર કામ કરતા મજૂરો અને તેમના છોકરાઓ આનંદથી જીવતા હોય છે. વરસાદમાં રહેવાનું ક્યાં?આજે જમ્યા પછી કાલે શુ ખાઈશું? કડકડતી ઠંડીમાં ક્યાં રહીશું?બળતા ઉનાળાના તાપમાં ઠંડક ક્યાંથી મેળવીશું?આ બધા પ્રશ્નો આવા મજૂરોના હોય છે. તો ખરેખર ડિપ્રેશન કોને હોવું જોઈએ? ફિલ્મી કલાકારો એક્ટિંગ કરી આપણને શીખવાડે છે.પણ ખરેખર શીખવાનું એમને છે કે ખુબજ ઓછી જરૂરિયાતો, કોઈપણ પરિસ્થિતિનો સામનો કરીને કેમ જીવવું.
કદાચ એમના કરતા વધુ પ્રશ્નો આપણાં દેશમાં રહેતાં મધ્યમવર્ગીય લોકોને હશે. એ જ મધ્યમ વર્ગીય લોકો આવા કલાકારોનું અનુકરણ કરે છે. મહેરબાની કરીને આવું અનુકરણ ન કરતા.દરેક સમસ્યાનું સમાધાન હોય છે.