શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬*

 

*સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ*

*૧૯ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન મોકલી શકાશે રીલની એન્ટ્રીઓ*

 

પાલનપુર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ઐતિહાસિક અને આસ્થાના પ્રતીક સમાન “ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬” ની ભવ્યતા, ધાર્મિક સંસ્કૃતિ તેમજ વહીવટી તંત્ર દ્વારા કરાયેલ સુચારુ વ્યવસ્થાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઇભક્તોની અપાર શ્રદ્ધા, પદયાત્રી સંઘોનો અદમ્ય ઉત્સાહ અને મેળાના વિવિધ આકર્ષણોને કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાની સર્જનાત્મક દ્રષ્ટિથી રજૂ કરી શકે તે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

 

કન્ટેન્ટ ક્રિએટર્સના કૌશલ્યને પ્રોત્સાહિત કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કુલ ₹ ૩,૫૫,૦૦૦/- ના આકર્ષક ઈનામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વિજેતાને ₹ ૧,૫૧,૦૦૦/-, દ્વિતીય વિજેતાને ₹ ૧,૦૧,૦૦૦/-, તૃતીય વિજેતાને ₹ ૫૧,૦૦૦/-, ચોથા ક્રમે ₹ ૩૧,૦૦૦/- તેમજ પાંચમા ક્રમે ₹ ૨૧,૦૦૦/- નું રોકડ ઇનામ એનાયત કરાશે. આ સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો મંદિર પરિસર અને દર્શન, મનોહર રોશની/લાઈટિંગ, ભોજન અને મહાપ્રસાદ વ્યવસ્થા, દર્શનાર્થી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા, સેવાભાવી સંસ્થાઓની સેવાઓ, સ્વચ્છતા અભિયાન, પગપાળા સંઘો તેમજ ડ્રોન શો જેવા અલગ અલગ વિષયો પર ૪૦ થી ૧૨૦ સેકન્ડની મર્યાદામાં રીલ બનાવી શકાશે.

 

આ સ્પર્ધામાં સહભાગી થવા માટે સ્પર્ધકે પોતાની રીલ તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાના અંગત કે અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘પબ્લિક’ મોડમાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ રીલની ડાયરેક્ટ લિંક સાથે સ્પર્ધકનું પૂરું નામ, સરનામું, સંપર્ક નંબર, સોશિયલ મીડિયા હેન્ડલ અને બેંક વિગતો અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ www.ambajitemple.in પર સમયમર્યાદામાં મોકલવાની રહેશે. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ રાત્રે ૧૧:૦૦ વાગ્યા બાદ મળેલ એન્ટ્રીઓ માન્ય રહેશે નહીં.

 

આ સ્પર્ધા દેશભરના પ્રોફેશનલ ઈન્ફ્લ્યુએન્સર, કન્ટેન્ટ ક્રિએટર, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે ખુલ્લી છે; જોકે ટ્રસ્ટ સાથે સંકળાયેલ એજન્સીઓ, મંદિરના કર્મચારીઓ અને ફરજ પરના સરકારી કર્મચારીઓ તેમાં ભાગ લઈ શકશે નહીં. રીલ સંપૂર્ણપણે મૌલિક હોવી અનિવાર્ય છે અને તેમાં કોઈપણ વ્યક્તિગત વોટરમાર્ક, લોગો કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સામગ્રીનો ઉપયોગ સદંતર પ્રતિબંધિત છે. સ્પર્ધાની એન્ટ્રીઓનું મૂલ્યાંકન નિષ્ણાંતોની વિશેષ કમિટી દ્વારા ગુણવત્તા, સર્જનાત્મકતા અને વાસ્તવિક નિરૂપણના આધારે કરવામાં આવશે અને ટ્રસ્ટનો નિર્ણય આખરી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *