*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વની શરૂઆત ભક્તિ, પરંપરા અને ઉત્સાહભેર ભગવાન શ્રી ગણેશજીની ગણપતિ સ્થાપના સાથે કરવામાં આવી. બાપ્પાના આગમન પ્રસંગે સોસાયટીના પરિવારજનો, મહિલાઓ, બાળકો અને પુરુષોએ મોટી સંખ્યામાં જોડાઈને ધાર્મિક વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

પરંપરાગત શણગાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના દરમિયાન વૈદિક પરંપરા મુજબ પૂજન-અર્ચન કરી ભગવાન ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યો અને સોસાયટીના તમામ પરિવારોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી.
ફ્લોરા આઈરીસમાં આ વર્ષે પાંચ દિવસીય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસ દરમિયાન સોસાયટીના રહેવાસીઓ સાથે મળીને ગણપતિ બાપ્પાની આરાધના, ભજન-કીર્તન તથા વિવિધ ધાર્મિક અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા પર્વની ઉજવણી કરશે. ખાસ કરીને બાળકોને પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઉજવણીની વિશેષતા એ છે કે ફ્લોરા આઈરીસ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવનો સંદેશ આપવામાં આવ્યો છે. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને ગણેશજીની સ્થાપના અને સમગ્ર આયોજનમાં પર્યાવરણમૈત્રી અભિગમ અપનાવવામાં આવ્યો છે. પાંચ દિવસના ઉત્સવ બાદ ગણપતિ વિસર્જન સોસાયટી પરિસરમાં જ કરવામાં આવશે, જેથી નદી, તળાવ કે અન્ય કુદરતી જળસ્રોતો પર કોઈ પ્રતિકૂળ અસર ન થાય.
ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ નહીં પરંતુ સમાજમાં એકતા, પરિવારભાવ અને સંસ્કારનું પર્વ બને તે દિશામાં ના ફ્લોરા આઈરીસના રહેવાસીઓ દ્વારા સુંદર પહેલ કરવામાં આવી છે. બાપ્પાના આગમનથી સમગ્ર સોસાયટીમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ સર્જાયું છે. ફ્લોરા આઈરીસનો આ ગણેશોત્સવ શ્રદ્ધા સાથે પરંપરાને જાળવી રાખવા અને સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનો સુંદર સંદેશ આપી રહ્યો છે — “બાપ્પાની ભક્તિ પણ, સંસ્કૃતિની પરંપરા પણ અને પ્રકૃતિની સંભાળ પણ.”
