*“વ્યસનથી દૂર, જીવન તરફ”: વડોદરા એ.એન.ટી.એફ.સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત અને જનજાગૃતિની અપીલ*

વડોદરા, સંજીવ રાજપૂત, એબીએનએસ: સમાજમાંથી વ્યસનનું દૂષણ ડામવા અને યુવાધનને સાચી દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા ખાતે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. એ.એન.ટી.એફ.સી.આઇ.ડી. ક્રાઇમ (વડોદરા ઝોન) ની ટીમ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલના વ્યસનમુક્તિ કેન્દ્રની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ લોકોને વ્યસનના ભયાનક દુષ્પરિણામોથી માહિતગાર કરવાનો અને ખાસ કરીને યુવાનોને વ્યસનના માર્ગે જતા અટકાવવાનો હતો.

આ મુલાકાત દરમિયાન કેન્દ્રના પ્રભારી ડૉ. વિશાલ પરમાર સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કેન્દ્રની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્રમાં અત્યારે બે દર્દીઓ ઇનડોર સારવાર હેઠળ છે, જેમને યોગ્ય કાઉન્સેલિંગ આપીને ફરી સામાન્ય જીવન તરફ વાળવામાં આવી રહ્યા છે. અહીં જનરલ ઓ.પી.ડી. દરમિયાન રોજ સરેરાશ ૧૦ થી ૧૫ દર્દીઓ તપાસ માટે આવે છે. સારવાર માટે આવનારા દર્દીઓ મોટાભાગે ૨૦ થી ૪૫ વર્ષની ઉંમરના હોય છે, જેઓ આર્થિક રીતે મધ્યમ અને પછાત વર્ગમાંથી આવે છે. આ દર્દીઓ મુખ્યત્વે દારૂ, તમાકુ, ગુટખા અને ડ્રગ્સ જેવા જીવલેણ વ્યસનોનો શિકાર બનેલા હોય છે.
આ મુલાકાત દરમિયાન એ.એન.ટી.એફ.સી.આઇ.ડી. ક્રાઇમ (વડોદરા ઝોન) ના પીઆઇ કે.વી. ડીંડોર તથા તેમના સ્ટાફના સભ્યોએ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો.
દર્દીઓનો ઉત્સાહ વધારતા પી.આઈ. ડીંડોરે જણાવ્યું કે ઘણીવાર યુવાનો માત્ર એક વારની મજા કે આકર્ષણ માટે વ્યસનની શરૂઆત કરે છે, પરંતુ આ નાનકડી ભૂલ આખું જીવન બરબાદ કરી નાખે છે. વ્યસન એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે આ દલદલમાં ફસાઈ ગયા હોવ, તો શરમાયા વગર સમયસર તબીબી અને કાનૂની મદદ લો. યોગ્ય સારવારથી જીવન ફરીથી સુંદર અને ખુશહાલ બની શકે છે.
કાર્યક્રમના અંતે પોલીસ ટીમ અને તબીબો દ્વારા સંયુક્ત રીતે જનતાને અપીલ કરવામાં આવી હતી કે યુવાનો કોઈપણ પ્રકારની લાલચ કે મિત્રોના દબાણમાં આવીને વ્યસનની શરૂઆત ન કરે. જો કોઈ મિત્ર કે પરિચિત ખોટા માર્ગે જઈ રહ્યો હોય, તો તેને પ્રેમથી સમજાવી વ્યસનમુક્તિ કેન્દ્ર સુધી પહોંચાડે.
”વ્યસનમુક્ત યુવા, સમૃદ્ધ ભારત” ના સૂત્ર સાથે એસ.એસ.જી. હોસ્પિટલ અને વડોદરા પોલીસના આ સંયુક્ત પ્રયાસને સ્થાનિક લોકોએ બિરદાવ્યો હતો.
