*કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ*

*કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ*

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર ખાતે યોજાયેલા અનાવરણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ભવ્ય પ્રતિમા વર્તમાન-આગામી પેઢીને શિવાજી મહારાજના સાહસ, વ્યૂહરચના અને ‘સ્વરાજ’ના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે. શિવાજી મહારાજની શૌર્યગાથા અને સુશાસનના પાઠ આજે પણ આપણને સતત પ્રેરણા આપે છે.

ભારતીય સંસ્કૃતિના રક્ષક અને અખંડ ભારતના પ્રેરણાસ્ત્રોત એવા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના મહારાષ્ટ્ર ભવન, સેક્ટર-૨૧ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ગણપતિ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

આ પ્રસંગે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને શિવાજી મહારાજના પ્રદાન અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે સમગ્ર ભારત અફઘાનિસ્તાનથી કન્યાકુમારી અને સોમનાથથી ઓરિસ્સા સુધી ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું, ત્યારે માત્ર ૧૬ વર્ષની વયે શિવાજી મહારાજે રાયેશ્વર મહાદેવના મંદિરે ‘હિન્દવી સ્વરાજ’ સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો. એ સમયે માત્ર દ્રઢ સંકલ્પ અને માતા જીજાબાઈના સંસ્કારો થકી તેમણે વર્ષો જૂની ગુલામીમાંથી મુક્ત થવા મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજે મંદિરોની રક્ષા અને પુનઃસ્થાપનાનો જે માર્ગ બતાવ્યો હતો, તે જ માર્ગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ કોરિડોર અને સોમનાથ મંદિર જેવા વિવિધ મંદિરોનો વિકાસ કરીને સનાતન ધર્મને વધુ બળ આપ્યું છે. શિવાજી મહારાજે ફારસી અને ઉર્દૂ જેવી પરભાષાના શબ્દો હટાવી સંસ્કૃત અને મરાઠી ભાષાને વિશેષ મહત્વ આપ્યું હતું. આ ઉપરાંત શિવાજી મહારાજે ભારતીય નૌકાદળનો સૌ પ્રથમ પાયો નાંખ્યો હતો. આજે ભારતીય નેવીના ધ્વજ પરથી ગુલામીની નિશાની હટાવી ‘શિવ મુદ્રિકા’ પ્રસ્થાપિત કરવાનું કાર્ય વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. આમ, આજે શિવાજી મહારાજનું સ્વરાજ, સ્વભાષા અને સ્વધર્મનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને જ્યારે વીરતાના સંસ્કાર આપવા માટે કવિતા લખવાની હતી, ત્યારે તેમણે શિવાજીને પસંદ કર્યા હતા. આજે પણ ગુજરાતના ઘરે-ઘરે ગવાતું ‘શિવાજીનું હાલરડું’ બાળકોમાં દેશપ્રેમનું સિંચન કરે છે.

 

મૂર્તિકારની કલાની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, શિવાજી મહારાજનો ઘોડો આગળ વધી રહ્યો હોય તેવી જીવંત અને ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરી તેમણે ગાંધીનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ મૂર્તિ આવનારા અનેક યુગો સુધી દેશભક્તિની પ્રેરણા આપતી રહેશે.

 

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, કેન્દ્રીય ગૃહમંત્રીના ધર્મ પત્ની શ્રીમતી સોનલબેન શાહ, મહારાષ્ટ્ર ભવનના મેનેજિંગ ટ્રસ્ટી સુધીર રઘુનાથ વિચારે, મહારાષ્ટ્ર સમાજના અગ્રણી શાકુંત આપ્ટે સહિત મહારાષ્ટ્રીયન ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *