જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી વર્ચ્યુઅલ ઉજવણી.

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી વર્ચ્યુઅલ ઉજવણી.

જિલ્લા કલેકટર ડી.એ.શાહે મતદાન માટે સામૂહિક શપથ લેવડાવ્યા.

રાજપીપલા,તા.27

રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહના અધ્યક્ષપદે ૧૧માં રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી જેમાં એનસીસી કમાન્ડન્ટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષે તા.૨૫ મી જાન્યુઆરીનાં દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત તા.૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ થી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે,૨૫ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારતીય ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે અને આજે ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઇ રહી છે.
રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એ.શાહે મતદાન માટે સામૂહિક શપથ લેવડાવ્યા હતા મહત્તમ મતદાન થાય તે જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
ભારતના ચૂંટણીપંચ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભારતના ચૂંટણીપંચના મુખ્ય કમિશ્નર સુનીલ અરોરા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકશાહીમાં મતદાતાઓનું મહત્વ સમજાવી મહત્તમ મતદાન માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર ડૉ.મુરલી ક્રિષ્ણન્, રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નર ડૉ.સંજય પ્રસાદ વગેરે તેમાં જોડાયાં હતા.

તસવીર :
જ્યોતિ જગતાપ, રાજપીપળા