*નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની નિષ્ણાંત તબીબો સાથે પરામર્શ બેઠક*

: નાયબ મુખ્યમંત્રી શ્રી:-

*• સમગ્ર દેશમાં પર મિલીયન એટલે કે પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ કોરોના ટેસ્ટનો દર ગુજરાતનો સૌથી વધુ છે.*

*• રાજ્યમાં પબ્લિક હેલ્થ, સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિતના સ્વાસ્થ્ય કેન્દ્રો સંપૂર્ણપણે કાર્યરત*

*• કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આવશ્યક એવી અત્યાધુનિક અને મોંઘી દવાઓ-ઇન્જેક્શન વિનામૂલ્યે દર્દીની સારવારમાં ઉપયોગ કરાશે*

*•ઘાતક વાયરસનું સંક્રમણ અટકાવવું અને મહત્તમ દર્દીઓના જીવ બચાવવા એ આપણું લક્ષ્ય છે.*
…….

કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી.

સિવિલ હોસ્પિટલ ખાતેની મીટીંગમાં મંત્રીશ્રીએ સિવિલના તબીબો પાસેથી કોવિડ-19 દર્દીઓની સારવારની સઘળી વિગત મેળવી હતી.

બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની બિલ્ડિંગમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં કોઈ એક જ જગ્યાએ સૌથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થતી હોય તો એ આ ઈમારત છે.અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ અહીં દાખલ થઇ રહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, 1200 બેડની હોસ્પિટલમાં કોઈપણ સમયે આશરે ૯૦૦ જેટલા કોવિડ-19 દર્દીની સારવાર 24 કલાક ચાલુ હોય છે. આઈ.સી.યુ.માં પણ સરેરાશ ૧૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ રહેતા હોય છે. જરૂરિયાત મુજબ યુ.એન. મહેતા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે. ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત તબીબો પણ સરકારને સહયોગ આપી રહ્યા છે. એમ તેમણે ઉમેર્યું હતું.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, અધિક સચિવ શ્રી પંકજકુમાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલની કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના વાયરસને નાથવાના કાર્યમાં પ્રયાસરત છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ ઉચ્ચ અધિકારીઓની સાથે તેઓ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવતા રહે છે.

શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્રતયા દેખરેખની જવાબદારી ડો. પ્રભાકરને સોંપાઈ છે. આ સાથે ડો. મોદી, ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. ગજ્જર અને ડો. શૈલેષ સહિતના નિષ્ણાંત તબીબો તેઓની ટીમ સાથે અહીં દિનરાત કાર્યરત છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આવા સમયે ડૉક્ટર અને નર્સની જરૂરિયાત વધુ હોવાથી ખાનગી હોસ્પિટલના ડોક્ટરની સેવા પણ લેવામાં આવી રહી છે. માનદ વેતન સાથે સેવા આપવા ઇચ્છુક ખાનગી હોસ્પિટલના તબીબો ટૂંક સમયમાં ‘ ડોક્ટર્સ ઓન- કોલ’ની રાહે અહીં સેવા આપશે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોરગ્રૂપની બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આવશ્યક એવી અત્યાધુનિક અને મોંઘી દવાઓ-ઇન્જેક્શન વિનામૂલ્યે દર્દીની સારવારમાં ઉપયોગ કરવા સ્પષ્ટપણે સુચના આપી છે.

મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 દર્દીઓની સુશ્રુષામાં કોઇ કચાશ રાખવામાં આવી રહી નથી. દર્દીઓને સમયસર ભોજન નાસ્તો અને અન્ય સુવિધાઓ અપાઈ રહી છે.

તેઓએ જણાવ્યું કે, કોરોનાવાયરસનું સંક્રમણ રાજ્ય સરકાર માટે મોટો પડકાર છે. આવા સમયે નિયમિત મુખ્યમંત્રીશ્રીના બંગલે આ અંગે બેઠક યોજાય છે અને તમામ પાસાઓ પર ચર્ચા થાય છે. રાજ્યમાં આ ઘાતક વાયરસનું સંક્રમણ અટકાવવું અને મહત્તમ દર્દીઓના જીવ બચાવવા એ આપણું લક્ષ્ય છે.

મંત્રીશ્રીએ રાજ્યમાં થઈ રહેલા કોરોના ટેસ્ટ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં પર મિલીયન એટલે કે પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ કોરોના ટેસ્ટનો દર ગુજરાતનો સૌથી વધુ છે. માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના અન્ય મુખ્ય નગરોમાં પણ કોરોના ટેસ્ટ પ્રમાણસર થઈ રહ્યા છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ડોક્ટર્સ, પોલીસ સ્ટાફ, આશાવર્કર સહિતના તમામ કર્મચારીઓ રાજ્ય સરકાર માટે કોરોના વોરિયર્સ સમાન છે. ફરજ દરમિયાન આવા કોઇપણ કર્મચારીનું કોરોના વાયરસને કારણે દુઃખદ મૃત્યુ થવાના કિસ્સામાં રૂ. ૨૫ લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં પબ્લિક હેલ્થ, સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સહિતના સ્વાસ્થ્ય કેન્દ્રો સંપૂર્ણપણે કાર્યરત છે જ્યાં બાળકોનું રસીકરણ, હૃદય, કિડની અને ફેફસાની બીમારીઓની સારવાર તથા ટીબી અને ડાયાલિસિસ જેવી અન્ય મહત્વની સારવાર પણ ચાલુ છે. અંદાજે રાજ્યના ૬૫% ખાનગી દવાખાના પણ ચાલુ છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે કૈલાસનાથન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ અને શહેરના જાણીતા ડોકટર ઉપસ્થિત રહ્યા છે.
****
ઉમંગ બારોટ