અખંડ જ્યોત નાં દીવાથી ભીષણ આગ: ઈન્દોરના શોરૂમ માલિકનું ગૂંગળામણથી કરુણ મોત; અંતિમ શ્વાસ સુધી દિકરીઓને બચાવવાનો પ્રયાસ

અખંડ જ્યોત નાં દીવાથી ભીષણ આગ: ઈન્દોરના શોરૂમ માલિકનું ગૂંગળામણથી કરુણ મોત; અંતિમ શ્વાસ સુધી દિકરીઓને બચાવવાનો પ્રયાસ.

 

ઈન્દોર, મધ્ય પ્રદેશ: ઈન્દોરના લાસુડિયા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક જાણીતા ઑટોમોબાઇલ શોરૂમની ઉપર આવેલા પેન્ટહાઉસમાં ભીષણ આગ લાગતા શોરૂમના માલિક અને કોંગ્રેસનાં નેતા પ્રવેશ અગ્રવાલ (Pravesh Agrawal)નું કરુણ મૃત્યુ થયું છે. આગમાં તેમની પત્ની શ્વેતા અગ્રવાલ અને નાની દિકરી પણ દાઝી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું કારણ ઘરમાં પૂજા રૂમમાં પ્રગટાવેલ ‘અખંડ જ્યોત’નો દીવો હોવાનું માનવામાં આવે છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અગ્રવાલ પરિવાર, જેમાં પ્રવેશ અગ્રવાલ, તેમની પત્ની શ્વેતા અને બે દિકરીઓ – 15 વર્ષની સૌમ્યા અને 10 વર્ષની માયરા – પેન્ટહાઉસમાં સૂઈ રહ્યા હતા.

 

આગ લાગ્યા બાદ શરૂઆતમાં આખો રૂમ ધુમાડાથી ભરાઈ ગયો હતો. શ્વેતા અગ્રવાલ અને તેમની નાની દિકરી ગમે તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યા અને તેમણે બૂમો પાડીને નીચેનાં સુરક્ષા ગાર્ડને જાણ કરી.

 

જોકે, પ્રવેશ અગ્રવાલ અને તેમની મોટી દિકરી સૌમ્યા અંદર જ ફસાયેલા હતાં. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડીને બંનેને બહાર કાઢવામાં આવ્યા હતાં. એવું કહેવાય છે કે પ્રવેશ અગ્રવાલે પોતાની દિકરીને બચાવવાનાં અંતિમ પ્રયાસ કર્યા, જેનાં કારણે તે બહાર નીકળી શક્યા નહીં. ધુમાડાથી ગૂંગળામણ થવાના કારણે બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

 

હોસ્પિટલમાં CPR આપવા છતાં પ્રવેશ અગ્રવાલને બચાવી શકાયા નહોતા અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમની મોટી દિકરી સૌમ્યાને પણ ગંભીર હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

લાસુડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નીતુ સિંહે જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસ સૂચવે છે કે પૂજા રૂમમાં પ્રગટેલી અખંડ જ્યોતમાંથી આગ લાગી હોઇ શકે છે, જે પછી બાજુનાં સ્ટોરરૂમમાં ફેલાઈ ગઈ.” જોકે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે અને ઇલેક્ટ્રિક સર્કિટ સહિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

પ્રવેશ અગ્રવાલનું અકાળે અવસાન ઇન્દોર અને દેવાસના રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તેઓ કોંગ્રેસનાં એક પ્રભાવશાળી અને ઉભરતા નેતા તરીકે જાણીતા હતાં.