અંક્લેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે ONGC કંપનીમાં નોકરી અપાવવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને નાસતા-ફરતા આરોપી ઠાકોરભાઈ મંગુભાઈ આહીરને ઝડપી પાડ્યો છે.

વડોદરા વિભાગનાં પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝા નાં માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. જી. ચાવડાની ટીમે આ કામગીરી હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઠાકોરભાઈ મંગુભાઈ આહીર “નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વિસ”નાં મેનેજર તરીકેની ખોટી ઓળખ આપીને લોકો પાસેથી નોકરી અપાવવાના નામે પૈસા પડાવતો હતો. તેણે લોકોને ONGC કંપનીમાં હજીરા, મહેસાણા અને ખંભાત ખાતે નોકરી અપાવવાની લાલચ આપીને દરેક વ્યક્તિ પાસેથી ₹2 થી ₹2.5 લાખ જેટલી રકમ લીધી હતી. આ ઉપરાંત, તેણે બનાવટી જોઈનિંગ લેટર અને આઈ-કાર્ડ પણ બનાવ્યા હતાં. આ રીતે, તેણે ફરિયાદીના પરિવારનાં 10 સભ્યો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી આશરે ₹3.18 કરોડની છેતરપિંડી કરી હતી.
આ ગુના હેઠળ અંક્લેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદથી આરોપી ઠાકોરભાઈ આહીર નાસતો-ફરતો હતો. પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી. જી. ચાવડા તથા એ.એસ.આઈ. અમરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ નિમેષભાઈ, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને તીર્થરાજસિંહ સહિતનાં સ્ટાફે ઉમદા ટીમ વર્ક દાખવ્યું હતું. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
