મોરબી દુર્ઘટનાને આજે એક મહિનો થયો : ગુનેગારો ખુલ્લેઆમ ફરતાં હોવાથી લોકો હતાશ

આઘાતમાંથી બહાર નથી આવ્યા મૃતકના પરિવારજનો : સરકાર કડક પગલાં લ્યે તેની રાહ જોવાય છે

મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને આજે એક મહિનો થઈ ગયો છે. આ દિવસે 135 લોકોને કાળ ભરખી ગયો હતો.આ ઘટનાને મહિનો પસાર થઇ ગયો હોવા છતાં હજુ મૃતકના પરિવારજનો આઘાતમાંથી બહાર આવ્યા નથી. જે અસરગ્રસ્ત છે તેમાં રાજેશ સુનારાનો 19 વર્ષનો દીકરો સંદીપ પણ હતો. બાળકના અવસાનની પીડાથી તેઓ બહાર આવ્યા નથી અને પત્નીનો ઊંડો આઘાત તેમને વધારે પરેશાન કરી રહ્યો છે. એક મહિનો વીતી ગયો હોવા છતાં પણ તેઓ સામાન્ય જીવન તરફ સહેજ પણ આગળ વધવાનો ઈનકાર કરી રહ્યા છે. રાજેશ સુનારા, જેઓ વ્યવસાયે ડ્રાઈવર છે તેઓ પણ નોકરી પર જવા માટે સક્ષમ નથી. સુનારા પીડિતોના કેટલાક પરિવારજનોમાંથી એક હતા, જેમને મોરબી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસની ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યારે તેમણે મોરબીની મુલાકાત લીધી હતી.

‘તે રાત બાદ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હું બહાર પણ જઈ શકતો નથી કારણ કે મારી પત્ની સંભાળ રાખવાની જરૂર પડે છે, જે હજી અસ્વસ્થ છે અને કડવા સત્યથી બહાર આવવા માટે ઝઝૂમી રહી છે’, સુનારાએ કહ્યું હતું. જેઓ તે સમયે પીએમ મોદીએ આપેલી ખાતરીથી ખુશ હતા કે, આ અંગે જવાબદાર લોકો સામે કાર્યવાહી થશે અને કડક પગલા લેવામાં આવશે. દુર્ઘટનાને એક મહિનો થયો હોવા છતાં કોઈ જ પગલા ન લેવાતા સુનારા નાખુશ છે.

વચન આપ્યા છતાં દુર્ઘટના માટે જવાબદાર ગુનેગારોની ધરપકડ ન કરવામાં આવી હોવાથી હું અત્યંત નારાજ છું. મેં એફઆઈઆર વાંચી છે અને તેમાં ઓરેવા ગ્રુપના હેડ અથવા નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમણે તેવા મજૂરોની ધરપકડ કરી છે જેઓ જવાબદાર નહોતા’, તેમ સુનારાએ જણાવ્યું હતું.

સુનારા અને તેમના પત્નીની જ માત્ર આવી હાલત નથી. અન્ય પીડિતોના પરિવારજનોનું જીવન પણ તે રાત બાદ હંમેશા માટે બદલાઈ ગયું છે. ગણપત રાઠોડે તેમનો દીકરો વિજય અને ભત્રીજો જગ્દિશ ગુમાવ્યો હતો. આગામી બે દિવસમાં વિજય હોમગાર્ડમાં જોડાવાનો હતો અને રાઠોડને તેમના દીકરાનો યુનિફોર્મ જોઈને ખૂબ ગર્વ થયો હતો. ‘મેં મારો દીકરો ગુમાવ્યો છે ત્યારે વળતરનુ શું કરીશ?’, આટલું કહેતા જ તેઓ રડી પડ્યા હતા. ‘જયસુખ પટેલ ખુલ્લેઆમ ફરે છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે જવાબદાર વ્યક્તિને કડક સજા આપવાની વિનંતી કરીએ છીએ’, તેમ રાઠોડે કહ્યું હતું. તપાસ દરમિયાન, એક જ દિવસમાં મુલાકાતીઓને 3,165 ટિકિટ આપવામાં આવી સહિતની અનેક ખામીઓ પ્રકાશમાં આવી હતી.