વિશ્વમા ભારતમાં ગુજરાતમા જૈનસમાજના લોકોની સંખ્યા કેટલી? આ સવાલમે મારી જાતને પુછયો…જવાબમાં એક કટાક્ષભર્યુ સ્મિત જ હાથમાં આવ્યુ. છતા ભોજનના વિશ્વમા જૈનથાળીએ પોતાનો દબદબો બરકરાર રાખ્યો છે… કમાવવુ હશે તો જૈનબંધુઓને સાચવવા પડશે.. કે પછી કોઈ જૈન વેપારીએ જ આ કોન્સેપ્ટ સાથે જૈનથાળીએ લોંચ કરી હશે…
શુ આ લઘુમતિ સમાજ સમગ્ર વિશ્વમા નાણાના જોરે જ પોતાની થાળી ફેલાવી શક્યો? શુ એમનુ માર્કેટીંગ જબરજસ્ત છે..? પોતાના આગવા ભોજનાગ્રહોને તે હોટલ ઉધ્યોગના ગળામા ઉતારી શક્યો…” ડુંગળી લસણ કે કંદમુળ હશે તો અમે તેવુ ભોજન ગ્રહણ નહી કરીએ..
અમે ભુખ્યા રહીશુ તો તમે પણ ભુખ્યા રહેશો. ” એવી ગર્ભિત ધમકીથી જૈનથાળી અસ્તિત્વમા આવી?
દરેકને પોતાનુ ભોજન પસંદ કરવાનો હક્ક છે. એમા ધનિકોને થોડો વધારે હક્ક છે..
શુ પંજાબી વાનગી કેવળ પંજાબ કે પંજાબીઓ પુરતી મર્યાદિત છે.?
શુ ચાઈનિસ, થાઈ,મેક્સિકન, તટીય, મોગલાઈ, રાજસ્થાની વ્યંજનો શુ એમના દેશ અને એમની સિમા પુરતા જ સિમિત રહ્યા છે..?
શુ આપણા ટેબલ ઉપર ગુજરાતી, કાઠિયાવાડી, જૈન, પંજાબી થાળીની જેમ આદિવાસી થાળી ન આવી શકે…?
જેમા રાગી, જાર, મકાઈ ,બાજરા કે ચોખાનો રોટલો હોય જેમાના એક જ રોટલાથી તમારી ભુખ ભાંગીને ભૂક્કો થઈ જાય.. તમારુ મધુપ્રમેહ વગર દવાએ નિયંત્રિત થાય.. અને કશુક દિવ્ય ખાધાનો અહેસાસ થાય..
અને શાકભાજી અને કઠોળમાં પણ એટલી જ વેરાઈટી મળે..
તમે ઔષધને ખોરાકની જેમ ખાતા હશો.. હવે ખોરાકને ઔષધ બનાવવાની જરુર છે.. જે આદિવાસી થાળી જ કરી શકે…
તમારી થાળીમાં કોદરીની ખિચડી હોય.. રાગીનો રોટલો હોય.. વાંસમાંથી બનાવેલું અથાણું હોય(હા ભાઈ હા વાંસમાંથી.. સ્પેશ્યલ ડાંગી ફલેવર) નાગલીના મસ્ત પાપડ હોય… ગલકા તુરિયાનુ રસ્સાદાર અને ઠસ્સાદાર શાક હોય… ( આખા દેશી મરચા અને અને ચાર પાંચ મીઠાના ગાંગડાને બરાબર પીસી, પેસ્ટ કરી માત્ર નામ માત્રના તેલમા વધારેલુ હોય.. એટલે તમારે તમારા કોલોસ્ટ્રલની તો ચિંતા જ મુકી દેવાની)
આદિવાસીઓની ભોજન પરંપરાને જ્યારે શ્રીમંત વેપારીઓ પોતાની મોનોપોલી બનાવીને.. એને પોતાની પેટન્ટ બનાવી અંત્યત મોધુ બનાવી દે.. એમા ઠાંસી ઠાંસી ને અશુધ્ધ ભરી દે.. ત્યારે તો ખાશોને આદિવાસી થાળી..? શુ તમને કોઇ તમારા ગળામા રાગીનો પિત્ઝા અને નાગલીનો આઈસ્ક્રીમ ઠુંસી દે એની રાહ જુઓ છો?
જે લોકો વરસાદથી ઊગેલા ધાસ અને ભાજીનો ઉપયોગ કરતા પહેલા નાંદરવા દેવ કે માટલિયા દેવને ભોગ ધરાવે છે.. એવી ભાજી ખાવાથી તમને સાત્વિકતાની સાથે આધ્યાત્મિકતા પણ મળી શકે..
વનદેવતા પાલુડિયા દેવની રજા માગીને તોડેલા પાંદડા વાળા શાકભાજી તમારુ બ્લડપ્રેશર કંટ્રોલ અને રસૈન્દ્રીયોને અનકંન્ટ્રોલ કરી મૂકવાની તમામ તાકાત ધરાવે છે…
આદિવાસી થાળી તમારા સ્વાદ માટે જ નહી તમારા શરીર માટે પણ એટલી જ જરૂરી છે…
૩૦૦૦ કરોડના પૂતળા નજીક આવેલી ભવ્ય હોટલના ડાઇનિંગ ટેબલ ઉપર આવી આદિવાસી થાળીની જરુર છે….
જય જોહાર… જય આદિવાસી
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
‘વિશ્વ આદિવાસી દિન અને આદિવાસી થાળીનો ખ્યાલ’
