ધારો કે, તમને કોઈ એમ કહે કે કાલથી તમારે આ જ પ્રકારના કપડાં પહેરવાના, ફલાણા પ્રકારનું જ માસ્ક પહેરવાનું અને ઢીકણા સમયે જ જે-તે વસ્તુ કરવાની, તો? તો તરત જ એ વ્યક્તિ વિશે આપણા મનમાં વિરોધ જન્મ લઈ લેશે. સ્વાભાવિક રીતે જ કોઈના દ્વારા થોપી બેસાડવામાં આવતી કોઈ બાબત આપણને ગુલામી લાગે છે. તો પછી કોઈક આપણે શું વિચારવું એ બાબત નિશ્ચિત કરતું થઈ જાય, અને આપણા મન મસ્તિષ્ક ઉપર સંપૂર્ણ પણે કાબૂ મેળવી લે તો શું એ ગુલામી નથી??
તાજેતરમાં બનેલી ઘટનાએ બોલીવુડના કલાકારોની પગ તળેથી જમીન ખેંચી લીધી છે. આ ઘટના એટલે ૩૪ વર્ષીય સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા. આ ઘટના બની એના અમુક જ કલાકોમાં સોશ્યલ મીડિયા “પોઝિટિવ મેન્ટલ હેલ્થ”, બોયકોટ કરણ જોહર, બોયકોટ નેપોટીઝમ જેવા વિવિધ વિષયોથી છલકાઈ ગયું. તો વળી, કેટલાય લોકોની આ ઘટનાથી આંખો ભીની થઈ અને દિવસો સુધી ફેસબુક, ઇન્સ્ટા જેવા સોશ્યલ મીડિયા બસ એ અભિનેતાને યાદ કરતા રહ્યા. એવું લાગી રહ્યું હતું કે જાણે આસપાસના વિશ્વ પાસે આ ઘટના સિવાય વાત કરવા કશું છે જ નહિ! બેશક જે ઘટના બની એ અતિશય બેચેન કરી મૂકે એવી જ હતી પરંતુ વાત કરવી છે એક એવી પરિસ્થિતિની કે જે આજે આપણે જ આપણી આસપાસ સર્જી રહ્યા હોઈએ એમ લાગે છે.
કોરોના વાઇરસ વિશે એટલું બોલાયું, એટલા મેસેજીઝ ફરતા થયા, એટલા વિડીયો ફરતા થયા કે આ શબ્દ સાંભળીને કંટાળો આવવા લાગ્યો! કોરોના વાયરસની કિલર કોલર ટ્યુન તો આજે’ય કેટલાયને પસંદ નથી પડી રહી ખરું ને? એ ભારત ચીનના વણસી રહેલા સંબંધો હોય કે પછી બોલિવુડના કોઈ એકટર એક્ટ્રેસની વિદાય; એમ લાગે છે જાણે આપણે શું વિચારવું એનું રિમોટ આપણે બીજાને સોંપી દીધું છે.
સોશ્યલ મીડિયામાં આવતી જાહેરાતો, એક પછી એક વંચાતી પોસ્ટ આપણને કોઈ એક વસ્તુ કે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા દેતી નથી. આજે માનવી એના જીવનના કોઈપણ પ્રશ્નોનો ઉકેલ મોબાઈલમાં શોધે છે, ઈન્ટરનેટ ઉપર શોધે છે. જ્યારે હકીકત એ છે કે એના પ્રત્યેક પ્રશ્નોનો ઉકેલ એની અંદર સમાયેલો છે. પરંતુ પોતાની અંદર ડોકિયું કરવાની ફુરસદ કોને છે? આપણે ત્યાં આધ્યાત્મિકતા એ નિવૃત્ત લોકોની પ્રવૃત્તિ તરીકે ખપાવી દેવામાં આવી છે. જ્યારે હકીકત એ છે કે આધ્યાત્મિકતા વ્યક્તિ જેટલી યુવાન વયે કેળવી શકે એટલો જ એ પોતાના મનથી વધુ ને વધુ મજબૂત બનતો જતો હોય છે. કોઈપણ મેન્યુફેક્ચરિંગ કે રિફાઇનરીમાં સાધનોની મરમ્મત માટે સમયાંતરે એનું પ્રિવેંટિવ મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય છે કે જેથી પ્લાન્ટનો શટડાઉન સમય ઓછો કરી શકાય. આપણા મનનું પણ એવું જ છે, ૬૦ની આયુ વિતાવીએ અને અંદર બધું કાટ ખાઈ ગયું હોય ત્યારે ઓઈલિંગ કરવા બેસીએ એનો અર્થ રહેવાનો ખરો? ઓઈલિંગ કરવાનો ખરો સમય તો યુવાનીમાં છે સાહેબ! કે જેથી ભર યુવાનીમાં આત્મહત્યા જેવો ગોઝારો વિચાર નાબૂદ કરી શકાય. આધ્યાત્મિકતા એ આપણા શરીરનું ઓઈલિંગ છે. કોઈપણ ધર્મને માનતા કેમ ન હો, આખા દિવસનો થોડોક સમય જો આઘ્યાત્મિકતાને આપી શકયાને તો જીવનના મોટામાં મોટા પડકારોને સાવ સરળતાથી સામનો કરી શકશો! તો વળી ઈશ્વરની ભક્તિ કરવી એને જ આધ્યાત્મિકતા ગણાય એવી માન્યતા ભૂલ ભરેલી છે. આખા દિવસનો થોડો સમય આપણી આસપાસ ચાલતી ઘટનાઓથી વિખૂટા પડી, મનમાં ચાલતા વિચારોને આપી શકાતો વિરામ પણ આધ્યાત્મિકતા જ છે. જ્યાં જીવન છે ત્યાં ઈચ્છાઓ છે, સપનાઓ છે અને ક્યારેક આ સપનાઓના તૂટવાને લીધે જન્મ લેતી હતાશા પણ છે. જીવનમાં ફૂંકાતા પ્રત્યેક વાવાઝોડા સાથે ફંગોળાઈ ન જઈએ એ માટે આપણા મૂળિયા જમીન સાથે જોડેલા રાખવા જ પડશે. આધ્યાત્મિકતા એ તત્વ છે કે જે આપણા વજુદને ધબકતું રાખે છે. જીવનમાં ઉદ્દભવતા પ્રત્યેક પ્રશ્નો, પ્રત્યેક સમસ્યાઓનો સામનો કરવા આપણે સક્ષમ છીએ જ, વાઘ સામે હોય અને પગ ધ્રૂજે ત્યારે આમ જોવા જઈએ તો પગ નહિ બલ્કે આપણું મન ધ્રુજી રહ્યું હોય છે, ખરું ને? પણ આધ્યાત્મિક ઉર્જાથી સિંચાયેલું આપણું મન; વાઘ સામે એની આંખોમાં આંખ પરોવીને એની સાથે બાથ ભીડવાની શક્તિ આપે છે. ધ્યાન કરવું બોરિંગ નથી, દિવસમાં બે મિનિટ શાંત ચિત્તે પોતાની સાથે વાર્તાલાપ કરવો “ટાઈમ વેસ્ટ” નથી, ટાઇમનું એ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે આપણા અને આપણા પરિવારે જોયેલા સ્વપ્નોને પંખે લટકતા અટકાવે છે!
લબુક-ઝબુક:
હતાશામાં પણ એક “આશા” છુપાઈ છે!
આધ્યાત્મિકતા એ જ “આશા”ને શોધી શકતી સ્ટ્રીટ-લાઈટ છે!
(તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)
