માથે હાથ હોય એ તારણહાર ! એ બાપા, આપા, આધા= હાદા, પપ્પા, ડેડી કે ડેડ જેવા કેટલાય વિશેષણોથી સજ્જ એક હેતાળ ને પ્રેમાળ એવુ હૂંફાળુ હૃદય ! પિતાની અમુક લાક્ષણિકતાઓ તો બેનમૂન ને બેજોડ જ હોય !
પુરા પરિવારના દુઃખ-દર્દ દૂર કરનાર પિતા પોતાના દર્દ ક્યારેય શેર નથી કરતો. પત્ની અને બાળકો તેના ખભા પર માથુ ઢાળી રડી શકે છે – પરંતુ પિતાને રોવા કે ઢીલા પડવાની બંધી છે. બેટા – બેટી શિક્ષણ કે ઈત્તર પ્રવૃત્તિમાં પારંગતતા કેળવે ત્યારે પિતાનો જન્મારો સુધરી જાય છે. એ જ પિતા અનાયાસે જ્યારે “તમને ખબર ન પડે” <— એ વાત સાંભળે ત્યારે હારી જાય છે. પોતે જન્માવેલાને જીતાડવા અને એની માટે જ જન્મેલો પિતા સંતાન પ્રેમ પાસે હારી જાય છે ! અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે ‘જનક’ મૂળ સોતો ઉખડી જાય છે !!
ધંધામા કરોડોની નુકશાની અથવા ભાગીદારીનો દગો ખમી શકનાર પિતા દીકરા-દીકરીની ગદ્દારી પણ કમને સહી લેવા શક્તિમાન બનેલો હોય છે.
મમતા, સમતા ને સમરસતા તો માતાનો સ્વભાવ અને સ્વીકાર છે તથા ઉજ્જવળ ભાવિ માટેના કડકાઈ ભર્યા પગલા લેવા એ પિતાનો સ્વભાવ છે. જતુ કરવુ, ગમ ખાઈ લેવો, પ્રેમ કરવો, ફરજ બજાવવી, દુનિયાદારી નિભાવવી અને સમય-સંજોગોની ઠોકરો ખાઈને પણ પોતાના બચ્ચાને ઉછેરવા એ પાલક-પિતા માટે સાધારણ વાત હોઈ શકે !
પોતાનો હાથ ખેંચમાં હોય ને તાણી-તુસીની બે છેડા ભેગા કરવાના હોય તે સમયે બાળકોની જિદ્દ, જરૂરિયાત કે ખુશી પુરી કરતા તથા સંતાનોની લાગણી, માંગણી ને ભાવનાઓ સાચવતા સાચવતા સ્વયં જુના કપડા કે જોડા કે સાદા ચશ્માના ડોઘલામાં પણ સંતોષમાં રહે તે પાલનહાર પપ્પા !
પોતાની ઓછી કે અપૂરતી કમાણીથી પોતાના દીકરાને જે તકલીફો વેઠવી પડી હોય તેવું તેનો દીકરો એના દીકરા માટે ન કરે એટલે કે પુત્રના પુત્ર = પૌત્ર માટે અજુગતુ ન બને તે માટે તે વધુ કમાવવા, દિવસ-રાત જોયા સિવાય, અર્થ ઉપાર્જનાર્થે વ્યસ્ત રહેતો હોય છે. એક જ હોય તેવા ક-સમયે વંઠેલા છોકરાની વ્યથામાં પિતા ઘૂમરાતો રહેતો હોય તો પણ તે કોઈ જ ફરિયાદ કરતો નથી.
પિતાને હંમેશાં ધરપતની ખપત ગમે છે : ભલેને સામે પક્ષેથી ન થતું હોય ! કરડા ચહેરા વાળો, રુક્ષ, બરછટ, તુમાખીથી ભરપૂર, અને દીઠો ય ન ગમે તેવો જુઠ્ઠો તેમજ લબાડ, ચોર, લંપટ, દગાખોર કેવો પણ પિતા હોય પણ તે પોતાના સંતાનો સાથે સ્નેહ ને સમર્પણથી જ રહેતો હોય છે. પિતાનું છાનુ રુદન તેના ઓશિકાની કોરને પણ પલાળતુ નથી અને તે ઉપરાંત ક્યારેક તો તે અંદરખાને હચમચી ગયેલા હૈયાનો ભાર ઝીલે રાખતો હોય તો ય દુનિયા સામે હસતા, હસાવતા ચહેરે ફરતો રહેતો હોય છે.
આવુ આપણે સૌ જાણતા હોવા છતાં માનતા હોય છીએ ખરા !? પિતાનો ઉપકાર, પિતાનું ઋણ ક્યારેય કોઇ ચૂકવી શક્યો નથી છતાં સનાતન યુગમાં દીકરાઓ મોટા થાય, દીકરીઓ મોટી થાય ત્યારે પિતાને તેઓ ગણકારતા નથી હોતા !!
શું આ વખતે “ફાધર્સ ડે” (રવિવાર – તા.૧૭ જુન) ના દિવસે આપણે સદ્દભાવના ને સંસ્કારનો નમ્રતા અને વિનય + વિવેકપૂર્ણ વ્યવહારનો સંકલ્પ લઈને પિતૃ-તર્પણની ભાવના કેળવીને સંતાન તરીકે ફરજ ન બજાવી શકીએ !? સૌને તેમના પિતાના અણમોલ અનંત સ્નેહાશિષ!-નિલેશ ધોળકિયા.
સંકલન. કેડીભટ્ટ
