*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

 

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે* ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હૉલ ખાતે યોજાયેલા ‘ઇન્ટરેકશન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમમાં ગુજરાતના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા ભારતના બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર જ હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને જમીની સ્તરે મતદારો સુધી પહોંચાડવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય BLO કરે છે.

જ્ઞાનેશ કુમારે BLOને ચૂંટણી પંચના પરિવારના સૌથી મહત્વપૂર્ણ સભ્યો ગણાવી જણાવ્યું હતું કે જ્યારે BLO મતદારના ઘરે જાય છે અથવા મતદાર સાથે ફોન પર વાત કરે છે ત્યારે મતદાર માટે તે જ ચૂંટણી પંચનું પ્રતિબિંબ હોય છે. ભારત જેવા વિશાળ લોકતાંત્રિક દેશમાં કરોડો મતદારો સુધી પહોંચીને તેમની મતદાર યાદીમાં યોગ્ય નોંધણી, સુધારા અને મતદાન સુનિશ્ચિત કરવામાં BLOની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યું હતું કે દેશના આશરે ૯૦ કરોડ મતદારોની અપેક્ષાઓ અને અધિકારો સાથે જોડાયેલી ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ રીતે પાર પાડવા માટે દેશભરમાં ૧૧ લાખથી વધુ BLO સતત કાર્યરત છે. ચૂંટણી પંચના વિશાળ પરિવાર સાથે સતત સંવાદ જળવાઈ રહે તે માટે તાલીમ, બેઠક અને ECI-Net જેવા ડિજિટલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

મુખ્ય ચૂંટણી કમિશનરે મતદાર યાદીની પારદર્શિતા અંગે જણાવ્યું હતું કે મતદાર યાદીની પ્રક્રિયામાં રાજકીય પક્ષો અને તેમના બૂથ લેવલ એજન્ટ્સની ભાગીદારીથી સતત ચકાસણી થાય છે. મતદાર યાદીમાં Absent, Shifted, Dead, Duplicate અને Foreigner(ASDDF) જેવા કિસ્સાઓની ઓળખ સાથે યોગ્ય મતદારોનું નામ યાદીમાં રહે તે સુનિશ્ચિત કરવાનું કાર્ય BLO દ્વારા કરવામાં આવે છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર દરેક પાત્ર ભારતીય નાગરિકનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ.

 

તેમણે મતદાન પ્રક્રિયાની પારદર્શિતા સમજાવતા જણાવ્યું હતું કે મતદાન શરૂ થાય તે પહેલાં મૉક પોલ દરમિયાન ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સની હાજરીમાં EVM અને VVPATની ચકાસણી કરવામાં આવે છે. મતદાન પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોના એજન્ટ્સની હાજરીમાં EVMના પરિણામ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને જરૂરી દસ્તાવેજો પર સહી કરવામાં આવે છે. તેવી જ રીતે મતગણતરી દરમિયાન પણ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સની હાજરીમાં EVMમાં નોંધાયેલા મત અને ફોર્મ 17Cમાં દર્શાવાયેલા મતની ચકાસણી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કે રાજકીય પક્ષો, ઉમેદવારો અથવા તેમના એજન્ટ્સ દ્વારા સતત ચકાસણી થાય છે. આથી ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વની સૌથી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાઓમાંની એક છે.

 

જ્ઞાનેશ કુમારે વિશેષ સઘન સુધારણા (SIR) પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ જાળવવા માટે ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે પુનરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. BLO દ્વારા ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંપર્ક કરવામાં આવે છે અને જરૂરી વિગતોની ચકાસણી કરવામાં આવે છે. યોગ્ય દસ્તાવેજો, મેપિંગ અને સુનાવણી જેવી પ્રક્રિયાઓ દ્વારા મતદાર યાદીને વધુ ચોક્કસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

 

તેમણે મતદાર યાદીની શુદ્ધતા જાળવવા BLOને સતત સક્રિય રહેવા અનુરોધ કરતાં કહ્યું હતું કે તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારા વિસ્તારમાં મતદાર યાદી તપાસો અને ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોનું નામ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે જરૂરી પ્રક્રિયા કરાવો. આ દેશના લોકતંત્રની સૌથી મોટી સેવા છે.

 

મુખ્ય ચૂંટણી કમિશનરે તાજેતરની વિવિધ ચૂંટણીઓમાં નોંધાયેલા ઊંચા મતદાનના ઉદાહરણો આપતાં જણાવ્યું હતું કે મતદાર જાગૃતિ અને ચૂંટણી કર્મચારીઓની મહેનતથી લોકશાહી વધુ મજબૂત બને છે. તેમણે BLOની નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાને બિરદાવતાં જણાવ્યું હતું કે મતદાર યાદીમાં કોઈ ખામી રહે તો તેની જવાબદારી પરિવારના વડા તરીકે મારી છે, પરંતુ યાદી યોગ્ય અને શુદ્ધ બને છે તેનો શ્રેય આપણા BLO ભાઈઓ અને બહેનોને જાય છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી માત્ર કદમાં જ નહીં પરંતુ તેની ઊંડાઈ, વિવિધતા અને જીવંતતામાં પણ અનોખી છે. આગામી ચૂંટણીઓમાં ગુજરાત વધુમાં વધુ મતદારોને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડીને દેશ માટે નવો દાખલો સ્થાપિત કરે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગુજરાતના BLOsની કામગીરીને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહ અને મનોબળને વધાર્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને લોકશાહીની મજબૂતી માટે BLOની નિષ્ઠા અને નિષ્પક્ષ કામગીરીને નિર્ણાયક ગણાવી હતી.

 

*રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળેએ* ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બુથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવો એ સુવર્ણ અવસર છે. તેમણે BLOs પ્રત્યે મુખ્ય ચૂંટણી કમિશનરના આત્મીય અભિગમની પ્રશંસા કરી હતી.

 

સંદીપ સાગળેએ જણાવ્યું કે BLOs ચૂંટણી પંચ અને નાગરિકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી તથા લોકશાહી ભાગીદારીના રાજદૂત છે. ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થા સાથે મેદાનમાં કાર્યરત BLOsના અનુભવો, પડકારો અને સૂચનોને મહત્વ આપવાથી ચૂંટણી પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનશે.

 

કાર્યક્રમના અંતે ગાંધીનગર કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ આભારવિધિ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *