*અમદાવાદ નિકોલના ભુવાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા*
*અમદાવાદમાં સંતાન પ્રાપ્તિનો દાવો કરનાર ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા*
*રૂમમાં પીડિતોને બોલાવી વિધિ-વિધાન કરતો ભુવો ઝડપાયો.*
*જુવારના દાણા પીવડાવી રોગ મટાડવાનો દાવો કરતો ભુવો.*
*દર મંગળવારે બપોર પછી દુઃખ-દર્દ મટાડતો હતો.*
*દર વર્ષે માંડવો રાખી બે હજારથી એક લાખ રૂપિયા વિધિ-માનતાના નામે ખંખેરતો.*
અપરણિત યુવકોને ૨૪ દિવસની બાધા રખાવતો હતો.
સૌરાષ્ટ્ર વિસાવદર પાસેના શાપર સુડાવડનો વતની, ભુવો રાજુભાઈ પ્રજાપતિ.
ભુવો રાજુભાઈ છગનભાઈ જોટાણીયાને માતાજીના માંડવામાં ધૂણવા બોલાવતા.
વિજ્ઞાન જાથાનો ૧૨૮૧ મો પોલીસની મદદથી સફળ પર્દાફાશ.
નિકોલ પોલીસ સ્ટેશન, પોલીસ કમિશ્નર કચેરીની પ્રશંસનીય કામગીરી.
ધતિંગબાજોથી છેતરાયેલા લોકો આધાર-પુરાવા સાથે માહિતી આપવા જાથાની અપીલ.
અમદાવાદ : નિકોલ વિસ્તારના અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં માતાજીનો મઢ બનાવી
ભુવો રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાના છેલ્લા ૩૦ વર્ષના ધતિંગ, દોરા-ધાગા, સંતાન પ્રાપ્તિ, દુઃખ-દર્દ મટાડવાના દાવાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૮૧ મો સફળ પર્દાફાશ કર્યો હતો. વિધિ-વિધાન, માંડવાના નામે એક લાખ રૂપિયાની ફી વસૂલતો હતો. રૂમમાં પીડિતોને બોલાવી તાંત્રિક વિધિ કરતો હતો. અમદાવાદમાં જયોતિષ, દોરા-ધાગા, દાણા જોઈ ઉપચાર કરતા ધતિંગબાજોથી છેતરાયેલા લોકો આધાર-પુરાવા સાથે માહિતી આપવા જાથાએ અપીલ કરી હતી.
બનાવની વિગત પ્રમાણે છેલ્લા ૬ માસથી જાથાના કાર્યાલયે રૂબરૂ તેમજ ટેલીફોનમાં માહિતી આપવામાં આવી તેમાં નિકોલ વિસ્તારમાં ઘરમાં સામા કાંઠાની મેલડી મા અને મોગલ મા નો મઢ બનાવી દર મંગળવારે બપોર પછી ભુવા રાજુભાઈ પ્રજાપતિ જોવાનું કામ કરે છે. મહિલાઓનું પ્રમાણ વધુ હોય છે. નિઃસંતાને બાધા રાખી મઢમાં ઘોડિયાનું પ્રતિક મુકવાથી સંતાન પ્રાપ્તિનો દાવો કરવામાં આવે છે. જુવારના દાણા પીવડાવવાથી રોગ મટે છે. માનસિક બિમારે ડોકટરી રીપોર્ટ સાથે રાખવો. શ્રધ્ધા રાખશો તો જ પરિણામ મળશે. અપરણિતે બાધા રાખવાથી લગ્ન યોગ, માંદગી, અપમૃત્યુ કિસ્સામાં તાંત્રિક વિધિ, મઢની થાળીમાં રૂપિયા મુકવા, ત્રણ કલાકે પીડિતોનો જોવડાવવાનો વારો આવશે. પાટમાં દાણા મુકવા એકી-બેકીની કરામત કરવી. માંડવામાં દાણાની ગણતરી પોતાના સાગ્રીતો મારફતે કરવી વિગેરે ધતિંગની માહિતી આપી હતી. જેથી જાથાએ માહિતીની ખરાઈ કરવાનું નક્કી કર્યું હતું.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ નિકોલ ખાતે ખરાઈ કરવા ભક્તિબેન રાજગોર, ભાનબુને શેઠીયા, રવિ પરબતાણીને મોકલવામાં આવ્યા. તેમણે બનાવટી હકિકત મુકતા ભુવાએ જુવારના દાણા પીવડાવ્યા. ૨૪ દિવસ ટેક આપી, આર્શિવાદ આપ્યા. પોતાના મઢના રૂમમાં વારાફરતી પીડિતોને બોલાવવામાં આવતા હતા. એકલી મહિલા–બે મહિલા અંદરના રૂમમાં જતા હતા ત્યાં ભુવો વિધિ-વિધાન કરતો હતો. દુઃખ-દર્દ મટાડતો હતો. પુરાવા એકત્ર થઈ ગયા હતા. તે દિવસે પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. વાઘેલાને રાજકોટથી જાથાએ ડમી માણસો મોકલ્યા છે તેની જાણકારી આપી હતી. બીજી વખત ભુવા માટે હારતોરા, શ્રીફળ, ચૂંદડી વિગેરે લઈ જઈ મજબુત પુરાવા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી લઈ લીધા હતા. જાથાના ચેરમેન જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ ગૃહ મંત્રાલય, પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશ્નર, ડે.પો. કમિશ્નર, ઝોન-૫, આસી. પોલીસ કમિ. કૃણાલ દેસાઈ, પોલીસ સ્ટેશનને પત્ર લખી કાયદો વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત માટે માંગણી કરવામાં આવી હતી. પ્રથમ વખતે પેટ્રોલની કૃત્રિમ અછતમાં પોલીસ સ્ટાફ રોકાયો હોય મુલત્વી રાખવાનું નક્કી થયું હતું. બાદ પર્દાફાશ માટે અલગ પત્રથી માંગણી કરવામાં આવી હતી. નિકોલ પો. સ્ટેશને ખુબ જ સહકાર આપ્યો હતો.
પર્દાફાશ માટે રાજકોટથી જાથાના વડા જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, રમેશ પરમાર, નિલેશભાઈ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા અમદાવાદમાંથી જાથાના સ્થાનિક કાર્યકરો નિકોલ પોલીસ રેશને પહોંચી ગયા.
નિકોલ પો. સ્ટેશનના હાજર પોલીસ કર્મીઓને ભુવાના કરતુતોથી માહિતગાર કરી ભુવાના મઢે જવાનું નક્કી થયું. જયાં ભુવો જોવાનું કામ કરતો હતો. રાજુ પ્રજાપતિના હોંશકોંશ ઉડી ગયા. જાથાના ચેરમેને પોતાનો પરિચય આપ્યો હતો. દાણા પાડવા, જોવાના કામની કબુલાત આપી દીધી હતી. લોકોને ભ્રમમાં નાખવું, રોગ મટાડવા જુવારના દાણા પીવડાવવા કાયદામાં પ્રતિબંધિત છે તેનાથી માહિતગાર કર્યા હતા.
ભુવા રાજુભાઈ પ્રજાપતિને પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું. જાથાએ ભુવા સામે કાર્યવાહી માટે પત્ર આપી પોલીસ પુછપરછ માટે કાયદેસરની માગણી કરી હતી. ભવિષ્યમાં ભુવો મોટો ગુન્હો આચરે નહિ તે સંબંધી પોલીસને હકિકત આપી હતી.
જાથાએ ૩૦ વર્ષના ધતિંગ બંધ કરાવવા કબુલાતનામું સાથે જાહેરમાં માફી પત્ર મેળવ્યું હતું. પ્રથમ વખત સુધરવાની તક આપવાનું મુનાસિબ રાખ્યું હતું. જાથાએ ૧૨૮૧ મો સફળ પર્દાફાશ કર્યો હતો.
પર્દાફાશમાં અમદાવાદ પોલીસ કમિશ્નર, ઝોન-૫ ના ડે.પો. કમિશ્નર, આસિ. પો. કમિ. કૃણાલ દેસાઈ, પો. ઈન્સ. વી. એસ. વાઘેલા, મહિલા પોલીસ કર્મીઓ, પોલીસ સ્ટાફ, બંદોબસ્ત ફાળવતા પોલીસ અશોકભાઈ સહિતનો જાથાએ આભાર માન્યો હતો.
રાજયમાં દોરા-ધાગા, મંત્ર-તંત્ર, રોગ મટાડવા, દાણા જોઈ ઉપચાર કરતા ધતિંગબાજોની માહિતી આધાર-પુરાવા, વિડીયોગ્રાફી સાથે ભોગ બનનારા આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી. જાથા ખરાઈ કર્યા બાદ પર્દાફાશના નિયમોની જાણકારી આપી કાર્યવાહી કરે છે…
