આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના સૂચકાંકો સુધારવા અને છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિવાસી જિલ્લાઓમાં આરોગ્યલક્ષી પડકારોના નિવારણ માટે વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓ સાથેના સંયુક્ત સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દરેક નાગરિક માટે સર્વસમાવેશક અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.

 

મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો લાવવા માટે નવીન ટેકનોલોજી અને સમુદાય-કેન્દ્રિત વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવે. તેમણે રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી આદિવાસી જિલ્લાઓમાં આરોગ્ય માળખાને વેગ આપવા પર બેઠકમાં ભાર મૂક્યો હતો.

 

આ બેઠકમાં કુપોષણ, શિશુ મૃત્યુદર (IMR), માતા મૃત્યુદર (MMR) અને એનિમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પહેલને વધુ અસરકારક બનાવવા માટે SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ના પ્રતિનિધિઓ સાથે મંત્રી દ્વારા પરામર્શ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે સહયોગી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ સંયુક્ત પહેલથી આગામી સમયમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના આરોગ્ય ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન આવશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *