૨૪ વર્ષથી વિશ્વાસઘાત નાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પંજાબથી ઝડપી પાડતી દહેજ પોલીસની સફળ કામગીરી.

ભરૂચ: ભરૂચ જિલ્લાની દહેજ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા ૨૪ વર્ષથી વિશ્વાસઘાત નાં ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પંજાબ રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
ગુનાની ટૂંક વિગત એવી છે કે, આ ગુનો દહેજ પોલીસ સ્ટેશનના પાર્ટ એ ગુ.ર.નં. ૪૭/૨૦૦૨, આઈ.પી.સી. કલમ-૪૦૭, ૧૧૪ મુજબ નોંધાયેલો છે. આ ગુનામાં ગઈ તારીખ ૨૦/૦૮/૨૦૦૨ નાં રોજ દહેજ આઈપીસીએલ કંપનીમાંથી ટ્રક નંબર MH 04 AL 3967 માં પીવીસી પાઉડર (PVC Powder) ૧૦ ટન જેની કિંમત રૂપિયા ૪,૬૩,૬૦૦/- હતી, તે રાજસ્થાનનાં કોટા ખાતે પહોંચાડવા માટે ભરીને રવાના થયેલ. જોકે, આરોપીએ નિર્ધારિત રોડ ઉપર(જગ્યા એ) પીવીસી પાવડર નહીં પહોંચાડી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના નાં અનુસંધાને, દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. સીસોદીયા નાં માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.
દહેજ પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી વોન્ટેડ આરોપી ભગવાનસિંગ બક્ષીસસિંગ (રહે. બઉપુર, જિ. કપુરથલા, પંજાબ)ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપી સુલતાનપુર લોઢી ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
દહેજ પોલીસની ટીમે પંજાબ રાજ્યનાં સુલતાનપુર લોઢી ખાતે જઈ સતત ત્રણ દિવસ તપાસ કરી. ત્યાં આવેલી અકાલ એકેડમી સ્કૂલમાં તે સ્કૂલ બસમાં ડ્રાઇવિંગ કરતો હોવાનું જાણવા મળતાં, તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી ભગવાનસિંગ બક્ષીસસિંગ (ઉં.વ. ૪૭)એ ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી હતી. તેને પંજાબ રાજ્ય ખાતેથી દહેજ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલા લાંબા સમયથી ફરાર આરોપીને શોધી કાઢવા બદલ દહેજ પોલીસની ટીમને અભિનંદન. તેમની આ ઉત્કૃષ્ટ અને ખંતપૂર્વકની કામગીરીને કારણે ૨૪ વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલાયો છે, જે કાયદાનાં શાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારે છે.
ઉપરોક્ત સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. સીસોદીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી. આર. મોદી તથા અ.હે.કો. દિપજય ગગજીભાઈ, અ.હે.કો. સુરેશભાઈ કેસુભાઈ તથા પો.કો. સેતાનસિંહ દલપતસિંહ, પો.કો. પરેશભાઈ પરબતભાઈ, પો.કો. અરવિંદકુમાર હિંમતરામ, પો.કો. નિલાભાઈ રામાભાઈ, પો.કો. વનરાજસિંહ ભગવાનભાઈ, અને પો.કો. જીતેશકુમાર સમીરભાઈ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવી હતી.
