માલધારી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે– પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રીશ્રી

ભુજના અજરખપુર એલએલડીસી ખાતે આયોજીત રાષ્ટ્રીય માલધારી યુવા સંમેલનમાં હાજરી આપીને કેન્દ્રીય મંત્રીશ્રીએ વિચરતા માલધારીઓનો સર્વે કરીને ઓળખપત્ર આપવાની જાહેરાત કરી

સંમેલનમાં રાષ્ટ્રીય સંગઠનની રચના : એલએલડીસી, શ્રોફ પરિવાર દ્વારા કરાયું આયોજન
૦૦૦૦
ભુજ, શનિવાર :
પશુઓ સાથે વિચરતા માલધારીઓનો સર્વે કરી અને તમામને ઓળખપત્ર આપવા માટેની જાહેરાત કરીને કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ ભુજ નજીક અજરખપુર ,એલએલડીસી મ્યુઝીયમ મધ્યે રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલનને ખુલ્લું મુકયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના ૧૭ રાજ્યોના ૩૦ જેટલા અલગ અલગ માલધારી સમુદાયના યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિચરતા માલધારી સમુદાયને મદદરૂપ બનવા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરાઇ છે. ત્યારે કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ અને વરીષ્ઠ અધિકારીઓ સાથે આ સંમેલનના માધ્યમથી માલધારી સમુદાય અંગે મેળવલી વિગતોના આધારે રેકર્ડ તૈયાર કરવામાં આવશે અને તેના મારફતે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ વિચરતા માલધારી સમુદાયને મળે તેવી કામગીરી કરાશે.

કેન્દ્ર સરકાર દ્વારા માલધારી સમાજના કલ્યાણ અર્થે કરાયેલી કામગીરી પર પ્રકાશ પાડતા તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશના દરેક પશુઓનું સરકારી ખર્ચે રસીકરણ ઉપરાંત ૧૯૬૨ મોબાઈલ એમ્બ્યુલન્સ ડીસ્પેન્સરી ઉપરાંત અત્યાર સુધી દેશમાં ૪૦૦૦ ફરતા પશુ દવાખાના કાર્યરત હોવાનું ઉમેર્યું હતું.
આ ઉપરાંત પશુઓ સાથે વિચરવા સમયે માલધારીઓને નડતી સમસ્યાના સમાધાન માટે પશુપાલન વિભાગની અધ્યક્ષતામાં સંબધિત વિભાગ સાથે સયુંકત કમિટીનું ગઠન કરાશે. જેમાં માલધારી પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાશે તેવું ઉમેર્યું હતું.
આ સંમેલનમાં ઉપસ્થિત કેન્દ્રીય પશુપાલન વિભાગના અધિકારીઓને સૂચન કરતાં શ્રી રૂપાલાએ આ સમુદાયના વડા મારફતે સરકારી યોજનાઓનો લાભ મળે તે અંગેના આયોજનની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. સમુદાયના આંતરિક સંગઠનના સહકાર થકી સરકાર સઘન કામગીરી કરી શકશે તેવી કટિબધ્ધતા દર્શાવી હતી.
શ્રી રૂપાલાએ પશુપાલકો આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે તે માટે દુધ તથા અન્ય પ્રોડકટ સંલગ્ન સંશોધન કરવા પશુપાલન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. અત્યારે ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા છાણ ખરીદવાનું શરૂ કરાયું હોવાનું અને આવનારા દિવસોમાં ગોબરની માંગ વધશે અને ભવિષ્યમાં તેનું મુલ્ય વધતા માલધારીઓ માટે ગોબર એ “ગોબરધન “બની જશે એવું તેમણે ઉમેર્યું હતું. સંમેલનમાં રાષ્ટ્રીય સંગઠનની રચના કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રીશ્રીએ બિરદાવી હતી.
ધારાસભ્ય કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, માલધારી સમુદાય આપણી વિરાસત છે અને પશુપાલન એ માત્ર જીવનશૈલી જ નહીં પણ વ્યવસાય પણ છે. તેથી તેને સંલગ્ન પ્રશ્નો સમજી તેના ઉકેલ માટે સરકાર દ્વારા પુરતા પ્રયાસો કરાશે.
મુખ્ય આયોજક સંસ્થા એલએલડીસી, સહજીવન, લીવિંગ લાઇટલી અને શ્રોફ ફાઉન્ડેશનના વડા દીપેશભાઈ શ્રોફએ આયોજનનું મુખ્ય શ્રેય કચ્છ નવનિર્માણ અભિયાનના સુષ્માબેન આયંગરને આપ્યો હતો. કચ્છમાં પ્રથમ વખત જ માલધારીઓનું રાષ્ટ્રીય સંગઠન રચાયું છે.
સમગ્ર વ્યવસ્થા અને આયોજન સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટી અને એલએલડીસીના મહેશ ગોસ્વામી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, મીનીસ્ટર ઓફ એનીમલ હસબન્ડરી એન્ડ ફીશરીઝના કમિશ્નર ડો. અભિજિત મિત્રા સહિતના અધિકારીઓ , સંદિપભાઇ વીરમાણી, મીર હમઝા ગુર્જર, પવન કુમારી સહીતના અગ્રણીઓ અને માલધારી સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી
