મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત બારોઇ (મુન્દ્રા) કેન્દ્રની મુલાકાત લેતા નાયબ કલેક્ટર

મુન્દ્રા, તા.4 : મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશના ત્રીજા રવિવારે બારોઇ (મુન્દ્રા) ગામે જૂની ગ્રામ પંચાયત ખાતેના મતદાર યાદી સુધારણા કેન્દ્રની મુન્દ્રાના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી) ચેતનભાઈ મિસણ અને નાયબ મામલતદાર પુષ્પાબેન એચ. વણકરએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન બુથ પરના સ્ટાફ દ્વારા સમગ્ર નોંધણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી ચૂંટણી તંત્રના કર્મીઓને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા અંગે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. ઉપરાંત બી. એલ. ઓ.ની સારી કામગીરીને બિરદાવીને 100 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૧લી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મતદાર ઓળખપત્રને આધારકાર્ડ સાથે લિંક કરવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા વિના જૂનાને બદલે નવું મતદાર ઓળખ કાર્ડ મેળવવા વિગેરે કામગીરી માટે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૧૨મી ઓગષ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જે કામગીરી માટે ચાર રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશનો આવતા રવિવારે 11 સપ્ટેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. જેમાં મળેલ અરજીઓનો તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે અને તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
પુખ્તવયના નાગરિકોને પોતાનું તેમજ સ્વજનનું નામ જો મતદાર યાદીમાં નોંધાવવાનું બાકી હોય તો સત્વરે નોંધાવવા તથા મતદાર યાદીમાં કોઈ વિગતોનો સુધારો – વધારો કરવાનો હોય તો તે માટે મતદારો પોતાના બી. એલ. ઓ.નો મતદાર ઓળખપત્ર સુધારણા કેન્દ્ર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકશે. માત્ર એટલું જ નહીં પણ ભારતીય ચૂંટણી પંચના વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા ઘર બેઠા પણ મતદાર તરીકે નોંધણી, સુધારા – વધારા તથા નામ કમી કરાવી શકશે. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1950 પરથી પણ માર્ગદર્શન મેળવી શકાશે એવી માહિતી આપવામાં આવી હતી.
