*જામનગરના જાંબુડા, અલિયા તથા બાળા ખાતે કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જાંબુડા, અલિયા તથા બાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ વિશે જણાવતા કહ્યું કે બાળકોને શિક્ષિત કરવા માટે સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી છે, જેના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો આજે ૪૧% થી ઘટીને માત્ર ૨% પર પહોંચ્યો છે.બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આજે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ શાળાઓમાં પહોંચી નવા વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારી રહ્યા છે, જે સરકારની શિક્ષણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે શરૂ કરેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ જેવા કાર્યક્રમોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આ કાર્યક્રમોના અમલના પરિણામે આજે દીકરીઓના શિક્ષણ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.અંતે, મંત્રીએ ઉપસ્થિત સૌને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શિક્ષણ ક્ષેત્રની અનેકવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈને પ્રગતિ સાધવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે માધ્યમિક શાળા અલિયા ખાતે મંત્રી દ્વારા સ્માર્ટ કલાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ અભ્યાસ, રમત-ગમત તથા અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિષયો પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના “એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે” ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ વર્ષે જામનગર જિલ્લામાં કુલ ૨૫,૧૯૫ બાળકો વિવિધ શૈક્ષણિક સ્તરે પ્રવેશ મેળવશે. જેમાં આંગણવાડીમાં ૪,૩૦૭ બાળકો, બાલવાટિકામાં ૭,૩૩૬ બાળકો, ધોરણ ૧ માં ૮,૭૫૨ બાળકો અને ધોરણ ૯ માં ૪,૮૦૦ બાળકોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેમ મુકુંદ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઈ ભંડેરી, સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરના અતુલ પંચાલ, પીજીવીસીએલ ના કાર્યપાલક ઈજનેર પી.સી.પટેલ, ગામના સરપંચઓ, આગેવાનો, શાળાના આચાર્યઓ, સી.આર.સી., બી.આર.સી., શિક્ષક ગણ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
