*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના*

પંચમહાલ,વિનોદ રાવલ, એબીએનએસ:

રાજસ્થાનના મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા તેમજ 33 જ્યોત પાઠ પ્રકાશના ધાર્મિક આયોજનને લઈને પંચમહાલ અને દાહોદ જિલ્લાના આયોજકો તથા સ્વયંસેવકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગામી 7 સપ્ટેમ્બરથી ભંડારાની શુભ શરૂઆત થનાર હોવાથી આજ રોજ પંચમહાલ અને દાહોદ જિલ્લાના આયોજકો તથા સ્વયંસેવકો રાજસ્થાનના મંડલા-કલા ખાતે જવા માટે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે રવાના થયા હતા.
બાબા રામદેવજી ભગવાન પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને પંચમહાલ તથા દાહોદ જિલ્લાના આયોજકો દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષે પણ રણુજા ખાતે ભવ્ય ‘બાબા કા ભંડારા’ નું આયોજન કરવામાં આવ્યું છે. ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાના હોવાથી આયોજકો અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર વ્યવસ્થાને લઈને અગાઉથી તૈયારીઓ કરવામાં આવી છે.
આજે સ્વયંસેવકો અને આયોજકો રવાના થવાના હોવાથી દહીંકોટ ગામમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વયંસેવકોના ચહેરા પર સેવા અને ભક્તિનો આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો. ગામના લોકો દ્વારા પણ આ ધાર્મિક અને સેવાકીય કાર્યને પ્રોત્સાહન આપતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વયંસેવકોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
દહીંકોટ ગામના સીમાડા સુધી ઢોલ-શરણાઈ અને ડીજેના તાલે ભવ્ય વિદાય આપવામાં આવી હતી. ‘બાબા રામદેવજી મહારાજની જય’ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સ્વયંસેવકો પણ ભારે ઉત્સાહ સાથે રવાના થયા હતા અને આગામી દિવસોમાં રણુજા ખાતે યોજાનારા ભંડારામાં સેવા આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સંતો તથા ગામના વડીલોએ ધર્મ સંસ્કૃતિ અને સમાજસેવાનું મહત્વ સમજાવ્યું હતું. સંતો અને વડીલોએ યુવા પેઢી ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાય તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે આવા સેવાકીય કાર્યોમાં આગળ આવે તેવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. ધાર્મિક આસ્થા સાથે સેવાભાવ જોડાય ત્યારે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને છે, તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ વિદાય કાર્યક્રમમાં સંતો, ભક્તો, દહીંકોટ ગ્રામ પંચાયતના સરપંચ, ગોલ્લાવ-2ના તાલુકા પંચાયત સભ્ય, સામાજિક કાર્યકરો, ગામના આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર પ્રસંગે દહીંકોટ સહિત આસપાસના વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. હવે પંચમહાલ અને દાહોદ જિલ્લાના આયોજકો તથા સ્વયંસેવકો રણુજા ખાતે પહોંચી બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારામાં સેવા આપશે અને 33 જ્યોત પાઠ પ્રકાશના ધાર્મિક આયોજનમાં ભાગ લેશે.
