*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ધાની એન્ટરપ્રાઇઝ અને મેધા ભટ્ટનાં સફળ આયોજન હેઠળ તાજેતરમાં ભગવાન જગન્નાથજીની અસીમ કૃપા અને છત્રછાયામાં એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકસાહિત્યને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમે કલાપ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વેજલપુર વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી પારુલબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પારુલબેન દવે અને શ્રીમતી મેધા ભટ્ટના તેમજ ઉપસ્થિત મહેમાનો મનીષાબેન પટેલ, મિહિરભાઈ પરમાર અને અનિલભાઈ બ્રહ્મભટ્ટના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ મંચ પરથી સુરોની રમઝટ શરૂ થઈ હતી.

 

આ લોક ડાયરામાં પધારેલા ખ્યાતનામ કલાકારોએ પંકજભાઈ દવે અને અનુરાધા બહેન રાવલે પોતાની સુમધુર વાણી અને આગવી રજૂઆતથી વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું. સાથે જ જયંતી કબીરા અને વાદ્યવૃંદ દ્વારા સતત અઢી કલાક સુધી ચાલેલા આ સંગીતમય કાર્યક્રમમાં કલાકારોએ ભજનો, દુહા, છંદ, લોકવાર્તાઓ અને લોકગીતોની એવી શાનદાર જમાવટ કરી કે ત્યાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. શ્રોતાઓએ પણ તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લીધા હતા.

 

ભગવાન જગન્નાથની ભક્તિ અને ગુજરાતી લોકસાહિત્યના આ અદભુત સમન્વયે શ્રોતાઓને એક અનેરો આનંદ પૂરો પાડ્યો હતો. આયોજકો દ્વારા આર્થિક સહયોગ આપનાર અકાદમી, પધારેલા મહેમાનો અને કલાકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કલા અને સંસ્કૃતિના ચાહકો માટે એક યાદગાર સાંજ બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *