*148મી રથયાત્રાને શાંતિપૂર્વક પાર પાડવા અમદાવાદ શહેર પોલીસ સજ્જ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 148 રથયાત્રા 27 જૂને નીકળવા જઇ રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નર જી. એસ.મલિકે જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે અને અધિકારીના પોઇન્ટનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. 24 તારીખે સવારે 6 વાગે મુખ્ય રિહર્સલ કરવામાં આવશે. અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક પણ કરવામાં આવી છે આ ઉપરાંત ક્રિકેટ મેચ,વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસ આ વખતે સૌ પ્રથમ વાર AI (આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આશરે 3100 સીસીટીવી રથયાત્રાના રૂટ પર પૂર્ણ કાર્યરત છે જ્યારે આશરે 45 ડ્રોન દ્વારા આખી રથયાત્રા પર ક્રાઈમ બ્રાન્ચ બાજ નજર પણ રાખશે. આ આખી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર કરવા પોલીસ કોઈ પણ કસર બાકી રાખશે નહીં. આશરે 20 હજાર વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત રહેશે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજીયનએ જણાવ્યું હતું કે રથયાત્રમાં હાઈ-ટેક સુરક્ષા, ફેસ-ડિટેક્શન CCTV કેમેરાથી હિસ્ટ્રી-શીટરો પર બાજ નજર રાખવામાં આવશે.

અત્યાધુનિક ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીથી સજ્જ બે લાઈવ-સ્ટ્રીમિંગ CCTV કેમેરા તૈનાત કરવામાં આવશે. બે હાઈ-ટેક કેમેરા ગુજરાત પોલીસના PINAC સોફ્ટવેર સાથે લાઈવ સ્ટ્રીમ કરી હિસ્ટ્રી-શીટરોને ઓળખશે. આ ઉપરાંત CRPF, RAF અને અન્ય એજન્સીઓ પણ રથયાત્રાની સુરક્ષામાં તૈનાત રહેશે. તો બીજી તરફ રૂટમાં આવતા જર્જરિત મકાનોની વાત કરીએ તો AMC દ્વારા ભગવાન શ્રી જગન્નાથની 148મી રથયાત્રાને લઈ મેયર અને પદાધિકારીઓ દ્વારા 14 કિલોમીટરના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે રથયાત્રાના રોડ પર આવતા 525 જર્જરિત મકાનોને કોર્પોરેશનને નોટિસ આપી છે. આ સાથે સાથે 50 જર્જરીત મકાનો સામે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 148મી રથયાત્રાને શાંતિપૂર્વક પૂર્ણ ભક્તિ સાથે પાર પાડવા તંત્ર અને પોલીસ સંપૂર્ણ સજ્જ જોવા મળી રહી છે.
