*વ્હીલચેરની મદદથી ચાલતા 95 વર્ષના રૂસ્તમજીએ ઘેર બેઠા મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો*

*વ્હીલચેરની મદદથી ચાલતા 95 વર્ષના રૂસ્તમજીએ ઘેર બેઠા મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો*

 

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેઓના ઘરે જઈને મતદાન કરાવી રહ્યું છે. 24 એપ્રિલથી શરૂ થયેલી વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને ઘરે બેઠાં મતદાનની પ્રક્રિયા 27મી એપ્રિલ સુધી ચાલવાની છે, જેમાં વિધાનસભા વાઈઝ ટીમોની સક્રિય કામગીરીથી અનેક વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની દેશહિતમાં મતદાન કરી રહ્યા છે.

 

અમદાવાદમાં જન્મેલા અને વર્ષોથી અહીં જ સ્થાયી થયેલા 95 વર્ષીય રૂસ્તમજી મહેતાએ આ વખતે ચૂંટણી તંત્રની મદદથી ઘરે બેઠાં મતદાન કર્યું હતું. નરોડા વિધાનસભા મતવિસ્તારમાં રહેતા રૂસ્તમજી મહેતા પોતાના પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર સહિત પરિવાર સાથે રહે છે.

અત્યાર સુધી એક પણ ચૂંટણીમાં મતદાન કરવાની ફરજ ન ચૂકેલા રૂસ્તમજી મહેતા હાલ ચાલવા માટે વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે. ઉંમર અને પગની તકલીફના કારણે રૂસ્તમજી હાલ ઘરમાં જ રહી પોતાનો સમય પસાર કરે છે તેમ છતાં પણ તેઓએ આ ઉંમરે મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો છે.

 

95 વર્ષીય રૂસ્તમજી મહેતાને ઘરે બેઠાં જ મતદાન કરવાની મળેલી સુવિધા ખૂબ જ અનુકૂળભરી અને સારી લાગી હતી. આ સેવા બદલ તેમણે ચૂંટણી તંત્રનો પણ વિશેષ આભાર માન્યો હતો. સાથે સાથે તેઓએ નાગરિકોને અચૂક મતદાન કરવાની અપીલ પણ કરી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈને મત મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *